દેશમાં વધતી મોંઘવારી વચ્ચે હવે સામાન્ય લોકોના રસોડાનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે. ખાસ કરીને ખાદ્ય તેલના સતત વધી રહેલા ભાવોએ ગૃહિણીઓ અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા વધારી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા અમેરિકા-ઈરાન તણાવ અને સપ્લાય ચેઈનમાં આવેલા અવરોધોની સીધી અસર હવે ભારતીય બજારમાં જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાક મહિનામાં સીંગતેલ, સૂર્યમુખી તેલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ સહિત લગભગ તમામ ખાદ્ય તેલોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વેપારીઓના મતે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધતા આયાત ખર્ચ વધી ગયો છે, જેના કારણે ઘરેલું બજારમાં પણ ભાવ ઊંચા જઈ રહ્યા છે.
હાલ ખાદ્ય તેલના શું છે ભાવ?
સરકારી ડેટા અનુસાર વિવિધ ખાદ્ય તેલોના સરેરાશ છૂટક ભાવ હાલમાં આ પ્રમાણે નોંધાયા છે:
- સીંગતેલ : આશરે ₹203 પ્રતિ લીટર
- સરસવનું તેલ : આશરે ₹189 પ્રતિ લીટર
- સૂર્યમુખી તેલ : આશરે ₹185 પ્રતિ લીટર
- સોયાબીન ઓઈલ : આશરે ₹161 પ્રતિ લીટર
- વનસ્પતિ ઘી : આશરે ₹161 પ્રતિ લીટર
- પામ ઓઈલ : આશરે ₹145 પ્રતિ લીટર
શહેર, બ્રાન્ડ અને પેકિંગ પ્રમાણે ભાવોમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.
માત્ર તેલ નહીં, કરિયાણું પણ મોંઘું બનશે
ખાદ્ય તેલના વધેલા ભાવની અસર હવે અન્ય ખાદ્ય વસ્તુઓ પર પણ જોવા મળી રહી છે. બિસ્કિટ, નમકીન, બેકરી પ્રોડક્ટ્સ, ફ્રોઝન ફૂડ અને પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં મોટા પ્રમાણમાં તેલનો ઉપયોગ થતો હોવાથી FMCG કંપનીઓ પણ ભાવ વધારાની તૈયારીમાં છે.
વેપાર નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક તણાવ લાંબો સમય ચાલશે તો આગામી અઠવાડિયામાં કરિયાણાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. જેના કારણે સામાન્ય પરિવારનું માસિક બજેટ વધુ બગડી શકે છે.
સપ્લાય ચેઈન અને આયાત પર મોટી અસર
ભારત મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત પર નિર્ભર છે. ખાસ કરીને પામ ઓઈલ અને સૂર્યમુખી તેલ માટે વિદેશી બજારો પર આધાર રાખવો પડે છે. યુદ્ધ અને જીઓ-પોલિટિકલ તણાવને કારણે શિપિંગ ખર્ચ, ઈન્સ્યોરન્સ અને સપ્લાયમાં વિલંબ વધતા આયાતી માલ મોંઘો પડી રહ્યો છે.
આ પરિસ્થિતિમાં આગામી સમયમાં સરકાર તરફથી ભાવ નિયંત્રણ અથવા આયાત શુલ્કમાં રાહત જેવા પગલાં લેવાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.