અમેરિકાના ટોપ જનરલે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી પ્રયત્નોની પ્રશંસા કરી
વોશિંગ્ટન: અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના પ્રમુખ જનરલ માઈકલ કુરિલાએ પાકિસ્તાનને આતંકવાદ વિરોધી લડાઈમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો છે. તેમણે ISIS-ખુરાસાન (ISIS-K) સામેની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ભૂમિકાની પ્રશંસા કરી.
કુરિલાએ જણાવ્યું કે, “ISIS-K વૈશ્વિક સ્તરે અમેરિકા અને અન્ય દેશો સામે હુમલા કરવાની યોજના બનાવતી સૌથી સક્રિય આતંકી સંગઠનોમાંની એક છે. પાકિસ્તાન સાથેની અમારી ભાગીદારી દ્વારા, તેમણે IS-K સામે કાર્યવાહી કરી અને ડઝનબંધ આતંકવાદીઓને ઠાર માર્યા છે.”
પાકિસ્તાને IS-Kના ટોચના આતંકવાદીઓને પકડ્યા
કુરિલાએ જણાવ્યું કે, “ગુપ્ત માહિતીની વહેંચણીના આધારે, પાકિસ્તાને IS-Kના પાંચ ટોચના કમાન્ડરોને પકડવામાં સફળતા મેળવી છે. આમાં કાબુલ એરપોર્ટ હુમલામાં સામેલ મોહમ્મદ શરીફુલ્લાહ (ઝફર) પણ શામેલ છે, જેને પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસીમ મુનીરે પકડી અમેરિકાને સોંપ્યો.”
26 ઓગસ્ટ, 2021ના રોજ કાબુલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી હુમલામાં 13 અમેરિકન સૈનિકો અને 160થી વધુ નાગરિકો માર્યા ગયા હતા.
“ભારત અને પાકિસ્તાન બંને સાથે સંબંધો જાળવવા જરૂરી”
કુરિલાએ ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધો વિશે કહ્યું, “અમેરિકાને ભારત અને પાકિસ્તાન બંને સાથે સંબંધો જાળવવાની જરૂર છે. અમે એકને પસંદ કરીને બીજાને અવગણી શકતા નથી.”
જયશંકરે પાકિસ્તાનના આતંકવાદી ઇતિહાસની યાદ અપાવી
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું, “ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીઓને પાકિસ્તાને વર્ષો સુધી આશ્રય આપ્યો હતો. આતંકવાદ એ ફક્ત ભારત-પાકિસ્તાનનો મુદ્દો નથી, પણ વૈશ્વિક સમસ્યા છે.”