બિહાર ચૂંટણીમાં ભવ્ય સફળતા મેળવ્યા બાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા છે. 5 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર, 2025 સુધીનો તેમનો આ પ્રવાસ માત્ર રાજકીય નથી, પરંતુ સામાન્ય જનતા માટે રોજગાર, મનોરંજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત લઈને આવ્યો છે.
આ પ્રવાસમાં ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠા એમ ત્રણ મુખ્ય સ્થળો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
5 ડિસેમ્બર: અમદાવાદ અને ગાંધીનગરમાં ધમાકેદાર પ્રારંભ
અમિતભાઈ શાહના આજના દિવસના મુખ્ય કાર્યક્રમોમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ અને ગાંધીનગરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે:
| સમય | કાર્યક્રમ | સ્થળ |
| સવારે 10.30 કલાકે | સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત ‘સ્વદેશોત્સવ’નો ઉદ્ઘાટન સમારોહ. | જીએમડીસી ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ |
| બપોરે 12 કલાકે | નાબાર્ડ દ્વારા આયોજિત ‘અર્થ સમિટ 2025’ નો સમાપન સમારોહ. | મહાત્મા ગાંધી કન્વેશન સેન્ટર, ગાંધીનગર |
| સાંજે 3.30 થી 5.00 કલાકે | ગાંધીનગર કોર્પોરેશન દ્વારા નવનિર્મિત બગીચા, યોગ સ્ટુડિયો, રેલવે ઓવરબ્રીજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન. | ગાંધીનગરના સેક્ટર 22, 27 અને LC-11 વિસ્તાર |
| સાંજે 5.30 કલાકે | સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ. | વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નારણપુરા, અમદાવાદ |
| સાંજે 6.30 કલાકે | ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26’ નો ભવ્ય પ્રારંભ (CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે). | મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક પાસે, સિંધુભવન રોડ, અમદાવાદ |
શોપિંગ ફેસ્ટિવલના પ્રારંભ પ્રસંગે કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરવામાં આવશે અને ભવ્ય આતશબાજીનું આયોજન પણ થશે.
6 ડિસેમ્બર: બનાસકાંઠામાં બનાસ ડેરીને વિશેષ ભેટ
બીજા દિવસે અમિતભાઈ શાહ બનાસકાંઠાના પ્રવાસે રહેશે, જ્યાં તેમનું મુખ્ય ધ્યાન સહકારિતા ક્ષેત્ર અને મહિલા દૂધ ઉત્પાદકો પર રહેશે:
-
બનાસ ડેરી કાર્યક્રમો: બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે અને તેઓ પ્લાન્ટની મુલાકાત પણ લેશે.
-
સંવાદ: બનાસકાંઠાના મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો સાંભળશે.
7 ડિસેમ્બર: અમદાવાદને આવાસ અને સ્પોર્ટ્સની ભેટ
પ્રવાસના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને શહેરી વિકાસને વેગ આપશે:
-
આવાસ લોકાર્પણ: થલતેજમાં 861 EWS આવાસ અને નવા વાડજમાં 350 EWS આવાસનું લોકાર્પણ થશે.
-
પાર્ક/તળાવ: સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્ક અને નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ.
-
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ: ગોતામાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ.
આ 3 દિવસીય પ્રવાસ દરમિયાન અમિતભાઈ શાહ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તકનું વિમોચન પણ કરશે અને BAPS દ્વારા આયોજિત પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં ભાગ લેશે.
